4th Quarterly Lecture
(2024-2025)
by
Shri Sonal Parikh
at
5.30 p.m. on Saturday, 29th March 2025
Niranjan Bhagat Memorial Trust, Ashima House, Ellisbridge.
શ્રી સોનલ પરીખ - પરિચય
શ્રી સોનલ પરીખનો જન્મ ખેડા જિલ્લાના ધર્મજ ગામમાં. ઉછેર અને શિક્ષણ મોરબી, રાજકોટ અને મુંબઈમાં. તેમના પિતા ડૉ. પ્રબોધભાઈ પારેખ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર - પણ ગાંધીના વારસદાર હોવાની કોઈ સભાનતા વિના તેમણે સંતાનોનો સામાન્ય અને સ્વાભાવિક ઉછેર કર્યો.
શ્રી સોનલ પરીખે સાહિત્યમાં એમ.એ. (સુવર્ણચંદ્રક), બી.એડ. કર્યું છે. તેમણે ભારતીય વિદ્યાભવનના સામયિક ‘નવનીત સમર્પણ'ના તંત્રી વિભાગમાં બે વર્ષ કામ કર્યું. પછી મુંબઈ સર્વોદય મંડળ અને મણિભવન જેવી ગાંધીસંસ્થાઓમાં સંશોધન-કાર્ય તેમજ વહીવટી કાર્યનો ત્રણ વર્ષનો અનુભવ લીધો અને ૨૦૧૦થી
૨૦૧૬ સુધી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં કાર્યરત રહ્યાં. હાલમાં તેઓ બેંગ્લોરથી ‘જન્મભૂમિ’, ‘જન્મભૂમિ પ્રવાસી' અખબાર તેમ જ ‘પ્રબુદ્ધ જીવન’, ‘નવચેતન’ સામયિકો માટે નિયમિત લખે છે. ઉપરાંત પ્રતિષ્ઠિત સાહિત્ય સામયિકોમાં તેમનાં કાવ્યો, વાર્તાઓ, પુસ્તક પરિચય, લેખો પ્રગટ થતાં રહે છે.
સાહિત્યની તેમની યાત્રા કાવ્યસર્જનથી શરૂ થઈ. ‘નિશાન્ત’ (‘કલાગુર્જરી’ પુરસ્કૃત) અને ‘ઊઘડતી દિશાઓ' બે કાવ્યસંગ્રહ, લેખોના બે સંગ્રહ ‘છૂકર મેરે મન કો’ અને ‘પ્રેમ જેવું કંઇક', ટ્રાન્સજેન્ડર વ્યક્તિના સંઘર્ષની નવલકથા ‘ને સમય જાગ્યા કરે’ (મહારાષ્ટ્ર તેમ જ ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર), એક સ્મૃતિચિત્ર ‘ચીકુ’ અને ‘પત્રકારત્વની પાઠશાળા’, ‘લોકમિલાપ-પુણ્યનો વેપાર’, ‘કનૈયાલાલ મુનશી અને તેમનું ભારતીય વિદ્યાભવન’ તેમજ ‘ચંપારણ સત્યાગ્રહ’ -આ ચાર પરિચય પુસ્તિકાઓ ઉપરાંત બેન્જામિન ફ્રેન્કલિનની આત્મકથા અને કસ્તૂરબાની જીવનયાત્રા (ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત)ના અનુવાદ તેમ જ એલિ વિઝેલ, રિચર્ડ બક, વિક્ટર ફ્રેન્કલ જેવા કલાસિક અને માર્ક હેન્સન, જેક કેન્ફિલ્ડ તેમ જ દીપક ચોપરા જેવા લોકપ્રિય લેખકોનાં પુસ્તકોના સંક્ષેપ- અનુવાદના પંદર પુસ્તકો લખ્યાં છે.
જિંદગી તમામ સંઘર્ષો સાથે તેમને પ્રિય છે. વાંચન, લેખન, પ્રવાસ, સંગીત અને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓમાં રત રહેવું તેમને ગમે છે.